ગીતશાસ્ત્ર  
ભાગ પહેલો 
 1
(ગીત 1-41) 
 1 દુષ્ટ લોકોની સલાહ જેઓ સ્વીકારતાં નથી, 
પાપીઓનાં માર્ગમાં જેઓ ઉભા રહેતા નથી, 
દેવની હાંસી ઉડાવનારા સાથે બેસતા નથી, 
તેઓ સાચેજ સુખી છે, તેઓને ધન્ય છે. 
 2 યહોવાના નિયમશાસ્ત્રથી તેઓ આનંદ માણે છે, 
રાત દિવસ યહોવાનાં વચનોનું જે મનન કરે છે; 
અને યહોવામય જીવન જીવવાં વિચાર્યા કરે છે, 
 3 તેઓ નદી કિનારે રોપાયેલાં વૃક્ષો જેવા છે, 
એ વૃક્ષો ઋતુ પ્રમાણે ઉત્તમ ફળો આપે છે; 
તેઓનાં પાંદડા કદી કરમાતાં નથી. 
તેઓ જે કાઇ કામ કરે છે, 
તેમાં સફળ થાય છે. 
 4 પણ દુષ્ટો એવા નથી હોતા, તેઓની વાત જુદી છે. 
તેઓ ખરેખર પવનમાં ઉડતાં ફોતરાં જેવા છે. 
 5 તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ; 
ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ. 
 6 યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે; 
પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે.