૨
કાના ગામમાં લગ્ન 
 ૧ ત્રીજે દિવસે ગાલીલના કાના ગામમાં લગ્ન હતું; અને ઈસુનાં મા ત્યાં હતાં.  ૨ ઈસુને તથા તેમના શિષ્યોને પણ તે લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. 
 ૩ જ્યારે દ્રાક્ષારસ ખૂટ્યો ત્યારે મરિયમ ઈસુને કહે છે કે, 'તેઓની પાસે દ્રાક્ષારસ નથી.'  ૪ ઈસુ તેને કહે છે, 'બાઈ (સ્ત્રી), મારે અને તારે શું? મારો સમય હજી આવ્યો નથી.'  ૫ તેમની મા ચાકરોને કહે છે કે, 'જે કંઈ તે તમને કહે તે કરો.' 
 ૬ હવે યહૂદીઓની શુદ્ધિકરણની રીત પ્રમાણે દરેકમાં ચાળીસ લીટર પાણી ભરાય એવાં પથ્થરના છ કૂંડાં ત્યાં મૂકેલાં હતાં.  ૭ ઈસુએ તેઓને કહ્યું, 'તે કુંડાંઓમાં પાણી ભરો.' એટલે તેઓએ કુંડાંને છલોછલ ભર્યાં.  ૮ પછી ઈસુએ તેઓને કહ્યું કે, 'હવે કાઢીને જમણનાં કારભારી પાસે લઈ જાઓ.' અને તેઓ લઈ ગયા. 
 ૯ જયારે જમણનાં કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો, પણ તે ક્યાંથી આવ્યો એ તે જાણતો ન હતો (પણ જે ચાકરોએ પાણી ભર્યું હતું તેઓ જાણતા હતા), ત્યારે જમણનાં કારભારીએ વરને બોલાવીને,  ૧૦ કહ્યું, 'દરેક માણસ પહેલાં ઉત્તમ દ્રાક્ષારસ પીરસે છે; અને માણસોએ તે સારી રીતે પીધા પછી સામાન્ય દ્રાક્ષારસ પીરસે છે. પણ તમે અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષારસ રાખી મૂક્યો છે.' 
 ૧૧ ઈસુએ પોતાના અદભુત ચમત્કારિક ચિહ્નોનો આરંભ ગાલીલના કાના ગામમાં કરીને પોતાનો મહિમા પ્રગટ કર્યો; અને તેમના શિષ્યોએ ઈસુ પર વિશ્વાસ કર્યો. 
ભક્તિસ્થાનનું શુદ્ધિકરણ 
 ૧૨ ત્યાર પછી ઈસુ, તેમની મા, તેમના ભાઈઓ તથા તેમના શિષ્યો કપરનાહૂમમાં આવ્યાં પણ ત્યાં તેઓ વધારે દિવસ રહ્યાં નહિ. 
 ૧૩ હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, તેથી ઈસુ યરુશાલેમ ગયા.  ૧૪ ત્યાં ભક્તિસ્થાનમાં તેમણે બળદ, ઘેટાં, કબૂતર વેચનારાઓને તથા નાણાવટીઓને બેઠેલા જોયા. 
 ૧૫ ત્યારે ઈસુએ દોરીઓનો કોરડો બનાવીને તે સર્વને, ઘેટાં, બળદ સહિત, ભક્તિસ્થાનમાંથી કાઢી મૂક્યાં; નાણાવટીઓનાં નાણાં વેરી નાખ્યાં અને આસનો ઊંધા વાળ્યાં;  ૧૬ કબૂતર વેચનારાઓને પણ તેમણે કહ્યું કે, 'આ બધું અહીંથી લઈ જાઓ; મારા પિતાના ઘરને વેપારનું ઘર ન બનાવો.' 
 ૧૭ તેમના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે, 'તારા ઘરનો ઉત્સાહ મને કોરી ખાય છે.'  ૧૮ તેથી યહૂદીઓએ તેમને પૂછ્યું કે, 'તું આ કામો કરે છે, તો અમને કયું ચમત્કારિક ચિહ્ન બતાવીશ?'  ૧૯ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, 'આ ભક્તિસ્થાનને તોડી પાડો અને ત્રણ દિવસમાં હું તેને ઊભું કરીશ.' 
 ૨૦ ત્યારે યહૂદીઓએ કહ્યું કે, 'આ ભક્તિસ્થાનને બાંધતા છેંતાળીસ વર્ષ લાગ્યાં છે અને શું તું તેને ત્રણ દિવસમાં ઊભું કરશે?'  ૨૧ પણ ઈસુ પોતાના શરીરરૂપી ભક્તિસ્થાન વિષે બોલ્યા હતા.  ૨૨ માટે જયારે તેમને મૃત્યુમાંથી સજીવન કરવામાં આવ્યા, ત્યારે તેમના શિષ્યોને યાદ આવ્યું કે, તેમણે તેઓને એ કહ્યું હતું; અને તેઓએ શાસ્ત્રવચન પર તથા ઈસુએ કહેલા વચન પર વિશ્વાસ કર્યો. 
લોકો વિષે ઈસુનું જ્ઞાન 
 ૨૩ હવે પાસ્ખાપર્વના સમયે ઈસુ યરુશાલેમમાં હતા, ત્યારે જે ચમત્કારિક ચિહ્નો તેઓ કરતા હતા તે જોઈને ઘણાંએ તેમના નામ પર વિશ્વાસ કર્યો.  ૨૪ પણ ઈસુએ તેમનો વિશ્વાસ ન કર્યો, કેમ કે તે સર્વને જાણતા હતા,  ૨૫ અને મનુષ્ય વિષે કોઈની સાક્ષીની તેમને જરૂર ન હતી; કેમ કે મનુષ્યમાં શું છે તે તેઓ પોતે જાણતા હતા.