૧૧૧
 ૧ યહોવાહની સ્તુતિ કરો. 
ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં 
હું ખરા હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ. 
 ૨ યહોવાહનાં કાર્યો મહાન છે, 
જે બાબતો તેઓ ઇચ્છે છે તેની તેઓ આતુરતાપૂર્વક રાહ જુએ છે. 
 ૩ તેમનાં કાર્યો તેજસ્વી અને મહિમાવંત છે 
અને તેમનું ન્યાયીપણું સદાકાળ ટકે છે. 
 ૪ તેમણે પોતાના ચમત્કારી કાર્યોથી પોતાને માટે સ્મારક કર્યું છે; 
યહોવાહ દયાળુ તથા કૃપાથી ભરપૂર છે. 
 ૫ તે પોતાના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે. 
તે પોતાના કરારનું હંમેશાં સ્મરણ રાખશે. 
 ૬ વિદેશીઓનો વારસો પોતાના લોકોને આપીને તેમણે તેઓને 
પોતાનાં અદ્દભુત કાર્યોનું પરાક્રમ બતાવ્યું છે. 
 ૭ તેમના હાથનાં કામ સત્ય અને ન્યાયી છે; 
તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વસનીય છે. 
 ૮ તેઓ સદા સ્થિર રખાયેલી છે, 
અને સત્યતાથી તથા વિશ્વાસુપણાથી કરવામાં આવી છે. 
 ૯ તેમણે પોતાના લોકોને વિજય આપ્યો છે; 
પોતાનો કરાર સદાકાળ માટે ફરમાવ્યો છે; 
તેમનું નામ પવિત્ર અને ભયાવહ છે. 
 ૧૦ યહોવાહને માન આપવું એ બુદ્ધિની શરૂઆત છે. 
જે લોકો તેમની સૂચનાઓનું પાલન કરે છે, તેઓ સમજદાર છે. 
તેમની સ્તુતિ સર્વકાળ થશે.